મોરબી : મોરબી સિરામિક મેન્યુફેકચર એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા દ્વારા આજે મોરબીના નવનિયુક્ત કલેક્ટર સ્વપ્નિલ ખરે અને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણીની મુલાકાત લેવામાં આવી હતી. આ વેળાએ તેઓએ કલેકટરને સિરામિક ઇન્ડસ્ટ્રીઝને જનરેટર માટે ડીઝલનો જથ્થો તાત્કાલિક ફાળવવા બાબતે રજુઆત પણ કરી હતી.
સિરામિક એસોસિએશનના પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે સિરામિક ઉદ્યોગ સતત પ્રોસેસ કરતો ઉદ્યોગ છે, જેમાં 24 કલાક વીજળીની જરૂરિયાત રહે છે. હાલ વીજળી પુરવઠામાં અવારનવાર વિક્ષેપ પડી રહ્યો છે, જેના કારણે સતત પ્રોસેસ કરતાં ઉધોગને મોટું નુકસાન વેઠવું પડે છે. આ પરિસ્થિતિ વારંવાર સર્જાતી હોવાથી ઉદ્યોગકારોને પોસાતું ન હોવા છતાં જનરેટર ચલાવીને પ્રોડક્શન લેવાની ફરજ પડે છે, જેના માટે ડીઝલની અનિવાર્ય જરૂરિયાત રહે છે.
અન્ન અને નાગરિક પુરવઠા નિયામકના હુકમ (ફાઇલ નંબર 556/2026) ના અનુસંધાને પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે રિટેલ આઉટલેટ પરથી ઔદ્યોગિક ગ્રાહકોને ડીઝલનું વેચાણ રોકવા બાબતનો હુકમ કરવામાં આવ્યો છે. ઘણી કંપનીઓ તરફથી શોર્ટ સપ્લાયના કારણે પૂરતો પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. આથી, સિરામિક ઉદ્યોગને પોતાની જરૂરિયાત મુજબનું ડીઝલ ખરીદવા રિટેલ આઉટલેટ પરથી મંજૂરી આપવા અને ડ્રાય આઉટલેટ પર પૂરતો સપ્લાય પૂરો પાડવા સંબંધિત વિભાગને તાત્કાલિક ધોરણે યોગ્ય સૂચના આપવા માંગ કરવામાં આવી છે. મધ્ય અને પૂર્વના યુદ્ધની અસર સિરામિક ઉદ્યોગ પર પડી છે, પરંતુ સરકારની પ્રોત્સાહક નીતિથી ઉદ્યોગને બળ મળી રહ્યું છે.
વધુમાં સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ નવનિયુક્ત કમિશ્નરને નવી જવાબદારી સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમના કાર્યકાળ દરમિયાન મોરબી શહેર વિકાસના નવા શિખરો સ શહેરમાં વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉભી થાય, સ્વચ્છતા, ટ્રાફિક, રોડ-રસ્તા, પાણી અને અન્ય નાગરિક સુવિધાઓમાં વધારો થાય તેમજ મોરબીની જનતાને વધુ સુખાકારીપૂર્ણ જીવન જીવવાની તક મળે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી











