મોરબી મહાનગરપાલિકાના મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા અંદાજે 12 થી 15 દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ હોવાની સમસ્યા સામે આવી છે. જે અંગે સ્થાનિક મુકેશભાઈ ગામી દ્વારા મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે પાણી વિતરણ બંધ હોવાના કારણે પીવાના પાણી અને દૈનિક વપરાશ માટે હાલાકી પડી રહી છે. ખાસ કરીને હાલ ઉનાળાની ઋતુ અને વધતા તાપમાનને કારણે પાણીની જરૂરિયાત ખૂબ વધારે હોય છે. આવા સમયે જ લાંબા સમયથી પાણી પુરવઠો બંધ રહેતા નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. પાણી ન મળવાને કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.
આથી, રજૂઆતકર્તા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરવામાં આવી છે કે મહેન્દ્રનગર વિસ્તારમાં પાણી વિતરણ શા માટે બંધ છે તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને બંધ થયેલો પાણી પુરવઠો પુનઃ શરૂ કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કરવા પણ માંગ કરવામાં આવી છે.










