રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીમાં રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી
ગાંધીચોક અને મહાનગરપાલિકા કચેરી ખાતે શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરી વંદન કર્યા
મોરબી જિલ્લામાં ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા વ્યાપક સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ દેશના મહાન સપૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પ્રેરણાદાયી શ્રમદાન કર્યું હતું.
મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના ગાંધીચોક ખાતે સ્થિત શહીદ વીર ભગતસિંહજીની પ્રતિમા તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરી પરિસરમાં આવેલી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપ્યો હતો. સફાઈ બાદ મંત્રીશ્રીએ બંને રાષ્ટ્રીય મહાપુરૂષોની પ્રતિમાઓને આદરપૂર્વક પુષ્પમાળા અર્પણ કરી, ભાવવંદન કર્યા હતા.
આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયરશ્રી ઉત્તમ સુરાણી, મહાનગરપાલિકાના કમિશનરશ્રી સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ રાણપરા, નાયબ કમિશનરશ્રી સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.













