મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ છાંગા અને રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ શ્રમદાન કર્યું*
સ્વચ્છતા અભિયાન અન્વયે મંત્રીશ્રીઓએ સફાઈ કરી નાગરિકોને પ્રેરણા પૂરી પાડી
મોરબી જિલ્લામાં ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા આશય સાથે મોરબીમાં સનાળા ખાતે આવેલા શક્તિ માતાના મંદિર પરિસરમાં મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમ છાંગા તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ આ આયોજનમાં ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.
મંત્રીશ્રીઓએ શ્રમદાનમાં સક્રિય સહભાગી બની નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી અને મોરબીના પ્રત્યેક નાગરિકને ‘સ્વચ્છાગ્રહી’ બનવા હાકલ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન લોકોને પ્લાસ્ટિકનું પ્રદૂષણ નાબૂદ કરવા, ‘મારો કચરો-મારી જવાબદારી’ ભાવના કેળવવા, ‘સ્વચ્છ શહેર-સુંદર શહેર’ બનાવવા અને ‘પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો’ સહિતના લોકજાગૃતિના પ્રેરક સંદેશાઓ આપવામાં આવ્યા હતા.
શનાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયરશ્રી ઉત્તમ સુરાણી, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ શ્રી વિનોદ ચાવડા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનરશ્રી સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, નાયબ કમિશનરશ્રી સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ અને નગરજનો જોડાયા હતા.














