મોરબી: મોરબીના વ્યસ્ત અને પ્રખ્યાત એવા શનાળા રોડથી લઈને રામ ચોક સુધીના મુખ્ય જાહેર માર્ગ પર છેલ્લા 5 દિવસથી ગટરના પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા સામે આવી છે. સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
જાહેર માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ગટરનું પાણી સવારના સમયે જ ઉભરાય છે, પરંતુ તંત્રના માણસો રાત્રે અથવા તો પાણી વહી ગયા પછી આવે છે. જેના કારણે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી.
છેલ્લા 5 દિવસથી આ જ પરિસ્થિતિ હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આ આપણી “નંબર 1” મહાનગરપાલિકા છે, જ્યાં મુખ્ય માર્ગો પર જ ગટરની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે આ ગટરના પાણીની સમસ્યાનો સત્વરે નિકાલ લાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.











