હવામાન વિભાગની આગાહી અનુસાર તા. ૩૧ જુલાઈ થી ૦૨ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને રાખીને પાક નુકસાની અટકાવવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તકેદારીના વિવિધ પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને હાલ પૂરતું પાકને પિયત આપવાનું બંધ રાખવા, ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ જંતુનાશક દવાઓ અને ખાતરનો છંટકાવ ટાળવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, ભારે પવનથી પાકને બચાવવા માટે જરૂરી ટેકા કે મંડપની વ્યવસ્થા કરવા અને હવામાન અંગેની સત્તાવાર માહિતી પર સતત નજર રાખવા જણાવાયું છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતમિત્રોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, જિલ્લા ખેતીવાડી અધિકારી, KVK અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.









