મોરબી ડેઈલી:વાંકાનેર નજીક આવેલા સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ત્રણ દિવસીય સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલા આ લોકમેળાને રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે દીપ પ્રગટાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ, રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જડેશ્વર મહાદેવના પવિત્ર પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલા આ લોકમેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના પ્રારંભ સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે લોકમેળાની ઉજવણીનો આરંભ થયો હતો. ત્રણ દિવસ સુધી યોજાનારા આ લોકમેળામાં આસપાસના વિસ્તાર તેમજ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ અને લોકો મેળાની મોજ માણશે. જડેશ્વર મહાદેવના દર્શન સાથે લોકમેળાના વિવિધ કાર્યક્રમો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.












