રસ્તો જીવલેણ બની ગયો હોવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા રાજપૂત કરણી સેના કાળઝાળ
મોરબી : મોરબીના હાર્દ સમાન જેલ ચોકથી લિલાપર ચોકડી સુધીનો રસ્તો કમર તોડી નાખે અને જીવલેણ સાબિત થાય છે તેવો હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા અંતે રાજપૂત કરણી સેના કાળઝાળ બની છે. જેવા સાથે તેવાની ભાષા જ સમજતા તંત્રની આંખ ઉઘડવા માટે રાજપૂત કરણી સેનાએ આ રસ્તો સારો ન બને તો ધારાસભ્યના કાર્યાલયને ઘેરાવ કરવાની ચીમકી આપી છે.

હમણાં થોડા દિવસ પહેલા જ લીલાપર રોડ ઉપર એક બ્રિજ ધરાશાઈ થઈ ગયો હતો. પરંતુ સદનસીબે કોઈ રાહદારીને જાનહાનિ થઈ નહોતી. પરંતુ ક્યાં સુધી પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડશે ? પ્રજાને પડતી પારાવાર મુશ્કેલી ક્યા સુધી સહન કરવાની? જો કોઈ સર્ગભા બહેનને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવે તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવો આ ખરાબ રસ્તો બની ગયો છે અને લોકોને જો ત્યાંથી રોજ પસાર થવાનું રહેતું હોય તો થોડા દિવસોમાં કમરનો દુખાવો પણ થઈ જાય એવી બિસ્માર હાલત છે. આ રોડ રસ્તાની છે. ત્યાં રહેતા અને ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકો ગરીબ અને પછાત વર્ગના છે એટલે એમના સાથે આવો ભેદભાવ થઈ રહ્યો છે કે શું? જો કે આ વિસ્તારના મોટા ભાગના લોકો હંમેશા સતાધારી પક્ષની સાથે રહ્યા છે પરંતુ કમનસીબે તેમનું કોઈ સાંભળનારું ના હોય એવું લાગે છે. અને નિરાધાર ગૌ માતા ની અનેક ગૌ શાળા પણ આવેલી છે સમગ્ર પંથક માથી ગૌ માતા ને અહીંયા આધાર મળે છે પણ અહીંયા ના લોકો જાણે નિરાધાર હોઈ એવું લાગી રહ્યું છે. જો આવનાર દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવે અને રોડ રસ્તા બનાવવામાં નહિ આવે તો અમે બધા સાથે મળીને વિરોધ પ્રદર્શન પણ કરશું અને ધારાસભ્યના કાર્યાલય નો ઘેરાવ કરશું તેવું રાજપૂત કરણી સેના મોરબી તાલુકા રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે.
