સામાજિક કાર્યકરોએ ચીફ ઓફિસર અને કલેક્ટરને રજુઆત કરી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની માંગ કરી
મોરબી : મોરબીના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રાત્રીના સમયે ચોરી, લૂંટફાટ અને અકસ્માત જેવા બનાવો વધી રહ્યા છે.જ્યારે વર્ષોથી મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ ધોળે દિવસે પણ લાઈટો ચાલુ રહે છે. કોના બાપની દિવાળી એમ ઘણા સમયથી વીજળીનો ખોટો વ્યય થતા તંત્રની વીજ બચતની જાગૃતિ લાવવાનું અભિયાન પોકળ પુરવાર થયું છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુ દવે, જગદીશ બાંભણીયા, દેવેશ રાણેવાડિયા, મુસાભાઈ બ્લોચ સહિતનાએ ચીફ ઓફિસર અને કલેક્ટરને રજુઆત કરી હતી કે, મોરબીના પાડાપુલની આશરે 36 લાઈટો બંધ હોય રાત્રીના સમયે અંધારપટથી હજારો વાહનોની અવરજવર ધરાવતા આ પુલ ઉપર અકસ્માતની વધુ ભીતિ રહે છે.જ્યારે બેઠાપુલની તમામ લાઈટો બેથી ત્રણ મહિનાથી બંધ છે. લખધીરસિંહજી બાપુના બાવલા પાસે મોટી સોડિયમ લાઈટો બંધ છે.તેમજ વીસી ફાટકથી નવલખી ફાટક, ટાઉનશીપ રોડ-સામાકાંઠે, મોરબી-2 જૂની પોસ્ટ ઓફીસથી નઝરબાગ રેલવે સ્ટેશન સુધી, વીસીપરા રોડ, શનાળા રોડ, વાવડી રોડ, લીલાપર રોડ, લાતીપ્લોટ, પુલ ઉપર અને પુલ નીચે લાઈટો બંધ છે. તંત્રના અણઘડ આયોજનને કારણે એક બાજુ આવા વિસ્તારોમાં 24 કલાક હજારો વાહનોની અવરજવર રહેતી હોવા છતાં અંધારપટ ઉલેચતો ન હોવાથી અકસ્માત સર્જાઈ છે. બીજી તરફ ઘણા વિસ્તારમાં 24 કલાક એટલે જરૂર ન હોવા છતાં ધોળા દહાડે લાઈટો સળગે છે. લોકો લાઈટનો 15 ટકા ટેક્સ નગરપાલિકામાં ભરે છે. પણ લાઇટની યોગ્ય સુવિધા અપાતી ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડતા આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.