અનેક રજુઆત છતાં રોડ, લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશો આગબબુલા : આગામી ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપનું કાર્યાલય પણ ન ખોલવા દેવાની ચીમકી આપી
મોરબી : મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વર્ષોથી રોડ, લાઇટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય રીતે મળી રહી ન હોય, સ્થાનિકો ગત રાત્રીના એકત્ર થયા હતા અને ભાજપના આ ગઢમાં વિસાવદરવાળી થવાની ચીમકી ઉચ્ચારી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગત રાત્રીના ચિત્રકુટ સોસાયટીના આશરે ૧૫૦ થી વધુ પ્રજાજનો એકત્રિત થયા હતા. ચિત્રકુટ ૧ થી ૩ અને ૬ નંબરમાં માં આશરે ૩૦ વરસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં રોડ, રસ્તા, લાઇટ તેમજ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આ વિસ્તારમાં મોટાભાગની સુવિધાઓ જેવી કે સીસીટીવી અને લાઇટની વ્યવસ્થા સ્થાનિક રહીશો દ્વારા કરેલ છે. પ્રજાજનોને પડતી હાલાકીની કોઇ જ ચિંતા કોપોઁરેટર કે ધારાસભ્યને હોય એવુ લાગતુ નથી. એક બાજુ ચિત્રકુટ સોસાયટી અને આજુબાજુનો વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ હવે જો કામગીરી નહી કરવામાં આવે તો આવનારા સંજોગોમાં કદાચ આ ગઢમાં ગાબડા પડશે એ ચોક્કસ છે. હાલ દરેક કામગીરી ઠપ્પ થઇ ગઇ હોય એમ લાગી રહ્યું છે. મહાપાલિકા થઇ પછી કામ થતાં નથી. તો શુ ધારાસભ્ય ની કોઇ જ જવાબદારી નથી.
આ અગાઉ પણ ચિત્રકુટ સોસાયટીના રહીશો દ્વારા પાંચ વખત ધારાસભ્યના ઘરે જઇને રજુઆત કરવામાં આવી છે. તેમજ ત્રણ વખત લેખિત રજૂઆત કરેલ છે. કમિશ્નર પાસે પણ લેખિત રજુઆત કરેલ હોવા છતાં આ લોકો રસ લઇને મોરબી માટે મહત્વનો ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં કામગીરી કરાવતાં નથી. ત્યાર આવનારા સમયમાં જોવાનુ એ રહ્યુ કે આ સોસાયટીમાં કામ થશે કે વિસાવદરવાળી કરવી પડશે ? વધુમાં સ્થાનિકોએ એવી પણ ચીમકી ઉચ્ચારી કે ચૂંટણીમાં આ વિસ્તારમાં હવે ભાજપનું કાર્યાલય પણ ખોલવા દેવામાં આવશે નહિ.
પૂર્વ કાઉન્સીલર જયંતીભાઈ વિડજાએ સ્થાનિકોને જણાવ્યું કે આ વિસ્તારના પ્રશ્નને લઈને તેઓ સક્રિય છે. તેઓ મહાપાલિકાના અધિકારીઓને આ મામલે મળ્યા છે પણ અધિકારીઓ એમ કહે છે કે જેને પ્રશ્ન છે એમને મોકલો. તમારે પ્રશ્ન લઈને આવવું નહિ. આમ અધિકારીઓ પૂર્વ કાઉન્સીલરને ગાંઠતા નથી. અંતમાં પૂર્વ કાઉન્સીલરે જણાવ્યું કે હવે જે કરવાનું થશે તેમાં સ્થાનિકોની સાથે છે.









