મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના આકસ્મિક અવસાન બાદ મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારાની નિમણૂક કરવામાં આવી છે. કિશોરભાઈ ચીખલીયાના નિધનને કારણે કોઈપણ જાતની ઉજવણી કર્યા વિના સાદગીથી પદ સંભાળીને તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓમાં કામે લાગી ગયા છે.
નયનભાઈ અઘારા મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે. તેઓ ગત મોરબી જિલ્લા પંચાયતની રવાપર સીટ પરથી વિજેતા થયા હતા અને મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ રહ્યા હતા. આ ઉપરાંત તેઓ વર્ષ 2010 થી 2015 દરમિયાન મોરબી તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. વર્તમાનમાં તેઓ રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે અને વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, તમામ કાર્યકરો તથા મોરબી જિલ્લાના લોકોએ નયનભાઈ અઘારાની મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેની નિમણૂકને સહર્ષ આવકારી છે.











