મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. ખાસ કરીને સિરામિક ઉદ્યોગના પીક અવર્સ દરમિયાન વાહનોની અવરજવર વધુ હોવાથી અહીં કાયમી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. ફાટક સાંકડું હોવાને કારણે એકસાથે વાહનો પસાર થઈ શકતા નથી, જેને પરિણામે અડધીથી એક કલાક સુધી ટ્રાફિક રહે છે.
આ પ્રશ્ન અંગે સિરામિક એસોસિએશન તેમજ વિવિધ સંગઠનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકો અને ઉદ્યોગકારોની માંગ છે કે રેલવે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવીને ફાટકને પહોળું કરે અથવા તો ડબલ ફાટકની વ્યવસ્થા ઉભી કરે. દરરોજ સર્જાતી આ સમસ્યાને કારણે સમય અને ઇંધણનો વ્યય થઈ રહ્યો છે, ત્યારે આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે.











