વાંકાનેરની મામલતદાર કચેરી ખાતેથી એક યુવકનું કારમાં બળજબરીપૂર્વક અપહરણ કરી, તેને દીધલીયા ગામની સીમમાં લઈ જઈ કુહાડી, લોખંડના પાઇપ અને લાકડીઓ વડે ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવકે આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, આરોપી કેશાભાઇ મનજીભાઇ લુંભાણીની દીકરી કાજલને ફરિયાદી રૂપાભાઇનો પિતરાઈ ભાઈ ભાવેશ ભગાડી ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ યુવક-યુવતીને ફરિયાદીએ જ ક્યાંક છુપાવી રાખ્યા હોવાના વહેમમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી વાંકાનેર મામલતદાર કચેરીએ હાજર હતા, ત્યારે કેશાભાઇ, વિપુલ કરશનભાઇ લુંભાણી અને ગોપાલ કેશાભાઇ લુંભાણી નામના આરોપીઓએ તેમને બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધા હતા, જેમાં વિપુલભાઈની પત્ની અગાઉથી હાજર હતી. ત્યાંથી અપહરણ કરી તેમને દીધલીયા ગામની સીમમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અન્ય આરોપીઓ હંસાબેન કેશાભાઇ લુંભાણી અને વાલજીભાઇ માવજીભાઇ લુંભાણી પણ ઉપસ્થિત હતા. આરોપીઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો, જેમાં માથાના ભાગે ઊંધી કુહાડી, પગમાં લોખંડના સળિયા, પાઇપ અને લાકડીઓ વડે માર મારી લોહીલુહાણ કરી દેવાયા હતા. ત્યારબાદ આરોપીઓ ફરિયાદીને કાશીપર ગામે લઈ ગયા હતા, જ્યાં અન્ય કરશનભાઇ લુંભાણીએ પોલીસ કેસ કરે તો મારી નાખવાની ધમકી આપી હતી. અંતે ફરિયાદીને મોટરસાયકલ પર તેમના ઘર પાસે છોડી દેવામાં આવ્યા હતા.










