મોરબી:આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા પણ શહેરને લીલુંછમ અને પ્રદૂષણમુક્ત બનાવવાના સંકલ્પ સાથે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર જોડાઈને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં મોરબી મહાપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયંતીભાઈ પંડસુંબીયા, દંડક શ્રી જયેશભાઈ દેસાઈ તેમજ શાસક પક્ષના નેતા શ્રીમતી અર્પિતબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વૃક્ષારોપણની શરૂઆત કરતા મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વૃક્ષો જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. માત્ર વૃક્ષો વાવવા પૂરતું નહીં, પરંતુ તેનું યોગ્ય જતન કરીને તેને ઉછેરવાની જવાબદારી પણ આપણા સૌની છે.” અન્ય મહાનુભાવોએ પણ નાગરિકોને પોતાના ઘર આંગણે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને પૃથ્વીને બચાવવામાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મહાપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌએ પર્યાવરણના રક્ષણ માટેના શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાપાલિકાની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.












