વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાયા,”વાવશે ગુજરાત, જીવશે ગુજરાત“ના સંદેશ સાથે હરિયાળી વધારવાનો સંકલ્પ
પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા અપીલ
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ જાગૃતિના વિવિધ કાર્યક્રમોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ દરેક નાગરિકની જવાબદારી હોવાનું જણાવી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા માટે સંકલ્પ લેવાયો હતો.
આ પ્રસંગે “વાવશે ગુજરાત, જીવશે ગુજરાત”ના સૂત્ર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જનજાગૃતિ લાવવા માટે લોકોને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી હતી.
ઘનશ્યામપુર હળવદ રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન અનિલભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય ભગવતીબેન ગિરીશભાઈ લકુમ સહિતના આગેવાનો, ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વૃક્ષોનું સંવર્ધન, પર્યાવરણનું રક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણ માટે સહિયારા પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી દ્વારા ગ્રામજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હોવાનું જોવા મળ્યું.
મયુર રાવલ હળવદ











