મોરબીની વૈભવનગર સોસાયટી સ્થિત આંબાવાડી તાલુકા શાળા ખાતે આજે શાળા પ્રવેશોત્સવ-2026 અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર સાહેબ, વોર્ડ નં. 9ના કોર્પોરેટર હિરેનભાઈ કરોતરા, નૂતનબેન વિડજા, ભગવતીબેન કુંડારિયા તેમજ ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું તિલક અને ફૂલોથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ જહેમત ઉઠાવી હતી. શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણના આ કાર્યક્રમથી શિક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સુંદર સંદેશ પ્રસર્યો હતો.













