મોરબી : વીજલાઇનના વળતરને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ સરકારે વળતરમાં વધારા સહિતના નિર્ણય જાહેર કર્યા છે. ત્યારે આ મામલે મંત્રી કાંતિલાલ અમૃતિયાએ હળવી શૈલીમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકારને હું કહેતો કે આમાં મારૂ ‘વજન’ ઘટી ગયું છે. હવે સરકારે કહ્યું તમારૂ ‘વજન’ વધી જશે. જો કે આ વાક્યમાં વજનના બે અર્થ થાય છે. એક શરીરનું વજન અને બીજું વર્ચસ્વ. જો કે આ બન્ને અર્થ અહીં સાચા પડતા હોય તેવો ઘાટ સર્જાયો છે.
કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણીનો આભાર માન્યો છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી વીજપોલ નાખવાની કામગીરીમાં ખેડૂતોને એડવાન્સ પૈસા ન મળવા, હેરાનગતિ થવી અને ખૂબ જ ઓછું વળતર મળવા જેવી ફરિયાદો હતી. અગાઉ મોરબી જિલ્લામાં નજીવું વળતર અપાતું હતું. આ મુદ્દે ખેડૂતોની નારાજગી અને ઉકળાટ એકદમ વ્યાજબી હતો. સરકારે આ ઉકળાટને ધ્યાનમાં લઈને ખેડૂતોને ન્યાય આપવા માટે છેલ્લા 1.5 મહિનાની પ્રક્રિયા બાદ આ કાયમી ઉકેલ લાવ્યો છે.
ખેડૂતોને ખાતરી આપતા તેમણે જણાવ્યું કે, હવે ખેડૂતોને તેમના મનમાં ધારેલા વળતર કરતા 2.5 થી 3 ગણા વધુ પૈસા મળશે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં રસ્તા, ઉદ્યોગ અને પાણીના વિકાસને કારણે જમીનોના ભાવ ખૂબ વધ્યા છે. આજે ગામડાઓમાં જંત્રીના ભાવ નહિ પરંતુ વાસ્તવિક જમીનના ભાવ 15 લાખ, 25 લાખ કે 30 લાખ રૂપિયા પ્રતિ વીઘા થઈ ગયા છે, તેથી ખેડૂતોની વધુ વળતરની માંગણી સાચી હતી. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે હવે જિલ્લા કક્ષાએ એક કમિટી બનાવવામાં આવશે. જેમાં કલેક્ટર, ખેડૂતના પ્રતિનિધિ અને કંપનીના પ્રતિનિધિઓ સામેલ હશે. આ કમિટી જિલ્લાવાર બનીને સુનિશ્ચિત કરશે કે ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે.
અંતમાં હળવાશની પળો શેર કરતા કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તેઓ ખેડૂતો અને સરકાર બંને વચ્ચે હતા. આ કામગીરીના ટેન્શનમાં તેમનું 2.5 કિલો વજન ઘટી ગયું હતું. જ્યારે તેમણે સરકારમાં આ વાત કરી ત્યારે તેમને કહ્યું હતું કે આમાં મારું વજન ઘટી ગયું છે. ત્યારે સરકારમાંથી કહેવાયું હતું કે હવે તમારું વજન વધારી દઈશું.











