મોરબી: મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો અને 4200 ગ્રેડ પેની લાંબા સમયથી ચાલી રહેલી ન્યાયિક માંગને વધુ બળ આપવા માટે મોરબી ખાતે એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને એકજૂથ થઈને પોતાનો સૂર બુલંદ કર્યો હતો. શિક્ષકોની આ વાજબી રજૂઆતને રાજ્ય સરકાર સુધી ધારદાર રીતે પહોંચાડવાના આશયથી ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તેમજ ‘રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ’ના હોદ્દેદારોને પણ વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ધોરણ 6 થી 8 ના શિક્ષકોએ 4200 ગ્રેડ પે તેમનો હક હોવાની રજૂઆત તથ્યો સાથે સંઘના હોદ્દેદારો સમક્ષ મૂકી હતી. શિક્ષકોની રજૂઆતો અને લાગણીઓને હોદ્દેદારોએ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીને આ પ્રશ્નને રાજ્ય કક્ષાએ સક્ષમ સત્તાધીશો સમક્ષ યોગ્ય મંચ પર રજૂ કરી સકારાત્મક ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી.
આ ઉપરાંત આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય સ્તરે આ માંગણીને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટેની રણનીતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તમામ શિક્ષકોએ શિક્ષક એકતાને વધુ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ટૂંક સમયમાં સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.











