સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર, સુલભ અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા તા. 16 જુલાઈ, 2026ના રોજ ક્રાંતિજ્યોત સોસાયટી, રામધન આશ્રમની સામે, મહેન્દ્રનગર, મોરબી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક કેમ્પમાં ભાગ લઈ આરોગ્ય તપાસ, તબીબી પરામર્શ અને હોમિયોપેથી સારવારનો લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન કુલ 51 લાભાર્થીઓની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જેમાં 15 પુરુષો, 34 મહિલાઓ તથા 2 બાળકોનો સમાવેશ થાય છે. તમામ લાભાર્થીઓને નિઃશુલ્ક તબીબી પરામર્શ, વ્યક્તિગત આરોગ્ય નિદાન, હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ તેમજ સ્વસ્થ જીવનશૈલી, પોષણ અને રોગ નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દ્વારા લોકોને હોમિયોપેથી સારવાર પ્રત્યે વધુ જાગૃત કરવાની સાથે પ્રાથમિક આરોગ્ય સેવાનો લાભ પણ પહોંચાડવામાં આવ્યો હતો.
કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. રાધિકા વ્યાસ, ડૉ. હિરલ ભટાસણા અને ડૉ. ભૂમિકા સોસાએ નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ આપી હતી. ઉપરાંત સંસ્થાના વિદ્યાર્થીઓ વાઘેલા દીપાલી, પરમાર ધારા, જોશી રિદ્ધિ, વાઘેલા આશિષ, સુરુ શિવમ અને નાકુમ તુલસીએ દર્દી નોંધણી, વ્યવસ્થાપન અને સમગ્ર આયોજનમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી, જેના પરિણામે કાર્યક્રમ સફળતાપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.
શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટે ક્રાંતિજ્યોત સોસાયટીના આગેવાનો, સ્થાનિક રહેવાસીઓ, તમામ ડૉક્ટરો, વિદ્યાર્થીઓ, સ્ટાફ સભ્યો તથા સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે.










