ચેનેજ ૬૨ થી ૬૪ અને ટંકારા નજીક તાત્કાલિક રીપેરીંગ પૂર્ણ; ચોમાસા બાદ સમગ્ર માર્ગ પર ડામર પેચવર્ક કરી કાયમી મરામત કરાશે
જિલ્લામાં અવિરત વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સુગમ બનાવવા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ
મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવે સહિત માર્ગો પર પર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોની સલામતી અને વાહનવ્યવહારની સુગમતા સુનિશ્ચિત કરવાના સકારાત્મક અભિગમ સાથે રાજકોટ મોરબી હાઈવે સહિત માર્ગો પર તાકીદના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) દ્વારા રાજકોટ-મોરબી રોડ પર ચેનેજ ૬૨ થી ૬૪ (RHS) સુધીના અગ્રતાની જગ્યાઓએ તેમજ ટંકારા પછીના વિવિધ ક્ષતિગ્રસ્ત સ્થળોએ ‘વેટ મિક્સ’ મેટલ નાખીને રસ્તાના પૂરાણ અને સમારકામની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય સ્થળોએ આ કામગીરી પ્રગતિ હેઠળ છે. વધુમાં, ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ સમગ્ર અસરગ્રસ્ત માર્ગ પર ડામર પેચવર્ક દ્વારા કાયમી અને ટકાઉ મરામત કરવામાં આવશે, જેથી આ મહત્વપૂર્ણના માર્ગોને વધુ સુરક્ષિત અને સુવિધાસભર બનાવી શકાય તેવું માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.











