Tuesday, August 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiયંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ‘કાનો’ ફિલ્મનું નિઃશુલ્ક પ્રદર્શન, પરિવાર અને સંસ્કારોનો સંદેશ

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ‘કાનો’ ફિલ્મનું નિઃશુલ્ક પ્રદર્શન, પરિવાર અને સંસ્કારોનો સંદેશ

મોરબી: પરિવાર પ્રત્યેનો પ્રેમ, ધાર્મિક આસ્થા, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક એકતાના મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તેવા ઉમદા આશય સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી દ્વારા ધાર્મિક ગુજરાતી ફિલ્મ ‘કાનો’નું નિઃશુલ્ક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પછાત વિસ્તારના વડીલો, માતા-બહેનો, યુવાનો અને બાળકોએ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંસ્કારસભર સાંજનો અનુભવ કર્યો હતો. ફિલ્મ પ્રદર્શન દરમિયાન ભક્તિ, શ્રદ્ધા, પ્રેમ અને પારિવારિક આત્મીયતાથી ભરેલો માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત પરિવારોએ સાથે મળીને ફિલ્મનો આનંદ માણ્યો હતો. ફિલ્મના ગીત પર મહિલાઓએ થિયેટરમાં જ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

મનોરંજન નહીં, પરિવાર અને સંસ્કારોને નજીક લાવવાનો પ્રયાસ

આ આયોજનનો હેતુ માત્ર લોકોને મનોરંજન પૂરું પાડવાનો નહોતો, પરંતુ બદલાતી જીવનશૈલી વચ્ચે ધીમે ધીમે ઓસરતી પારિવારિક આત્મીયતા, ધાર્મિક સંસ્કાર અને સામાજિક એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો. આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનોનો મોટો સમય મોબાઇલ તથા અન્ય ડિજિટલ મનોરંજનમાં પસાર થાય છે, ત્યારે પરિવાર સાથે બેસીને મૂલ્યલક્ષી અને ધાર્મિક ફિલ્મ નિહાળવાનો અનુભવ નવી પેઢીને પરિવાર, વડીલો, સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું માધ્યમ બની શકે છે.

એક સાથે બેઠા પરિવાર, તો સંવાદ અને સંસ્કાર બંનેનો જન્મ

‘કાનો’ જેવી ગુજરાતી ધાર્મિક ફિલ્મો દ્વારા ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા સંદેશને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આવા કાર્યક્રમો બાળકો અને યુવાનોમાં વડીલો પ્રત્યે આદર, પરિવાર પ્રત્યેની જવાબદારી, કરુણા, ધાર્મિક શ્રદ્ધા તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનું માધ્યમ બની શકે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉપસ્થિત નાગરિકો માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

‘પરિવાર સાથે બેસે ત્યાં સંવાદ, સંવાદમાંથી સંસ્કાર અને સંસ્કારમાંથી મજબૂત સમાજ’

આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે સમાજનું ભવિષ્ય માત્ર આર્થિક વિકાસથી ઘડાતું નથી, પરંતુ સંસ્કાર, પરિવારભાવના અને નૈતિક મૂલ્યો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. પરિવાર જ્યારે એકસાથે બેસીને ધર્મ, સંસ્કૃતિ અને જીવનમૂલ્યોનો સંદેશ આપતી કૃતિ નિહાળે છે ત્યારે તે માત્ર મનોરંજન પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ નવી પેઢીના ઘડતરમાં પણ યોગદાન આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘કાનો’ જેવી ગુજરાતી ધાર્મિક ફિલ્મો આપણી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે, જે લોકોને પોતાની પરંપરા, શ્રદ્ધા અને માનવ મૂલ્યો સાથે ફરીથી જોડવાનું કામ કરે છે. યંગ ઇન્ડિયા ગ્રુપનો પ્રયાસ સમાજને એવા કાર્યક્રમો આપવાનો રહ્યો છે, જે લોકોનું મનોરંજન કરવાની સાથે વિચાર, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવનાને પણ પ્રેરણા આપે.

ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “પરિવાર જ્યાં સાથે બેસે છે ત્યાં સંવાદ જન્મે છે, સંવાદમાંથી સંસ્કાર જન્મે છે અને સંસ્કારમાંથી જ મજબૂત સમાજનું નિર્માણ થાય છે.” સમાજમાં પ્રેમ, ભાઈચારો, ધાર્મિક સૌહાર્દ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સતત જીવંત રહે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી સમયમાં પણ આવા લોકહિતકારી અને સંસ્કારપ્રેરક કાર્યક્રમો યોજવામાં આવશે.

ઉપસ્થિતોએ પણ આયોજનને આવકાર્યું

ફિલ્મ પૂર્ણ થયા બાદ અનેક વડીલો, માતા-બહેનો અને પરિવારજનોએ આવા સંસ્કારલક્ષી કાર્યક્રમોને આજના સમયમાં જરૂરી ગણાવી યંગ ઇન્ડિયા ગ્રુપની કામગીરીને આવકારી હતી. અંતે ડૉ. દેવેન રબારીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વડીલો, માતા-બહેનો, યુવાનો, બાળકો તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments