મોરબી ડેઈલી : મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાજપના જિલ્લા યુવા મોરચાના મીડિયા સેલના સહ-ઇન્ચાર્જે રક્ષાબંધનના દિવસે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવના ભાજપ આગેવાનને ભાગીદાર અને વ્યાજખોરે ભાગીદારીમાં ચરાડવા ગામે ચા નાસ્તાની હોટલ શરૂ કરી ધંધો બરાબર ન ચાલતા વ્યાજે પૈસા આપી બાદમાં કાર પડાવી લઈ પરત નહિ આપતા ભાજપ આગેવાને અંતિમ પગલું ભર્યાંનું સામે આવતા બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે બન્ને વ્યાજખોરોને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઇલાબા અમૃતસિંહ જાડેજાએ આરોપી મયુર ડોડીયા અને યુવરાજ ઉર્ફે લાલભાઈ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં તેમના પતિ એવા ભાજપ આગેવાન અમૃતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દાનુભા જાડેજાને મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.ઇલાબાએ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, તેમના પતિ અમૃતસિંહે આરોપી મયુર અને યુવરાજ સાથે ચરાડવા ખાતે ભાગીદારીમાં ચા – નાસ્તાની હોટલ શરૂ કરી હતી.પરંતુ ધંધો બરાબર નહિ ચાલતા આરોપી યુવરાજ ઉર્ફે લાલાભાઈ પાસેથી 3.25 લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ પણ સમયસર ચૂકવતા હતા છતાં પણ આરોપીઓએ મૃતક અમૃતસિંહ પાસેથી જીજે – 36 – એઆર – 8000 નંબરની બલેનો કાર બળજબરીથી પડાવી લઈ વ્યાજ અને પૈસા આપે તો જ કાર પરત આપીશું તેવું કહી પઠાણી ઉઘરાણી કરતા હતા
આ મામલે ડીવાયએસપી જે.એમ.આલે વિગતો જાહેર કરતા જણાવ્યું કે પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ મહેશ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઈ ચૌહાણ (રહેવાસી ચરાડવા) અને લાલો ઉર્ફે યુવરાજ ગોપાલ ખવાસ (રહેવાસી કોંઢ, તાલુકો ધ્રાંગધ્રા) છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી બલેનો કાર અને 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભોગ બનનાર દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પણ પોલીસે ગુનાના કામે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અમૃતસિંહ (ઓમદેવસિંહ) જાડેજા ભાજપ આગેવાન હતા. તેઓએ અગાઉ મોરબી-માળિયા વિધાનસભા આઈ.ટી. સેલના ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ હાલ તેઓ મોરબી જિલ્લા યુવા મોરચા મીડિયા સેલના સહ-ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના અવસાનને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાએ શોક વ્યક્ત કર્યો છે.











