મોરબી : વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલા “સહકાર થી સમૃદ્ધિ” સંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025 ને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ” જાહેર કરવામાં આવ્યું છે. જેની ઉજવણીના ભાગ રૂપે આવતીકાલે તારીખ 1 મેના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની સફાઇ અભિયાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત દરેક ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાથમિક મંડળીઓ દ્વારા પણ સફાઇ અભિયાન હાથ ધરી આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની વ્યાપક ઉજવણી કરવામાં આવશે. 1લી મેના રોજ મોરબી ખાતે માર્કેટ યાર્ડ દ્વારા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સવારે 9 કલાકે તેમજ મોરબી નાગરીક બેન્ક દ્વારા મહાદેવ મંદિર, પરષોત્તમ ચોક, દાવજી પ્લોટ, શેરી નં. 4 ખાતે સવારે 10.30 કલાકે સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે. જે તમામ કાર્યક્રમમાં વ્યાપક પ્રમાણમાં લોકો જોડાય અને સહકારીતાનો સમાજમાં ફેલાવો થાય તેમજ મહાત્મા ગાંધીના “સ્વચ્છતા એ જ સેવા” નો મંત્ર સાર્થક થાય તે માટે સહકારી સભાસદો અને જન સામાન્ય લોકોને સફાઇ અભિયાનમાં જોડાવા સહકારી સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.