મોરબી: મોરબી જિલ્લામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને છેવાડાના પરિવારોની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ‘સમગ્ર શિક્ષા મોરબી’ અંતર્ગત માળિયા (મિયાણા) તાલુકાના સરવડ ગામે કાર્યરત ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય’ (KGBV) માં ધોરણ 6 થી 12 માં દીકરીઓના નામાંકન (પ્રવેશ) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ નિવાસી શાળામાં પ્રવેશ મેળવનાર તમામ દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે-સાથે રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધાઓ તદ્દન મફત પૂરી પાડવામાં આવે છે.
આ યોજના હેઠળ ખાસ કરીને શાળા બહારની (Drop out) અથવા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવામાં અસમર્થ રહી હોય તેવી 10 વર્ષથી વધુ ઉંમરની દીકરીઓ, અંતરિયાળ વિસ્તારની કન્યાઓ, નિયમિત શાળાએ ન જઈ શકતી હોય તેવી દીકરીઓ તેમજ SC, ST, OBC, લઘુમતી (Minority) અને ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા પરિવારોની દીકરીઓને પ્રવેશમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
આ શૈક્ષણિક તકનો લાભ લેવા માટે ઈચ્છુક વાલીઓએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મુ. સરવડ, તા. માળિયા (મી.), જિ. મોરબી ખાતે રૂબરૂ મુલાકાત લેવી અથવા સંસ્થાના સત્તાવાર મોબાઈલ નંબર 90816 95927 પર સંપર્ક સાધવો, તેમ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (સમગ્ર શિક્ષા મોરબી)ની યાદીમાં જણાવાયું છે.










