મોરબીના શનાળા રોડ પર રામ ચોક પાસે આવેલી એ વન પાન વાળી શેરીમાં બેંક ઓફ મહારાષ્ટ્રની સામે કચરાના મોટા ઢગલા ખડકાઈ ગયા છે. આ કચરાના ઢગલાના કારણે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે અને હાલ વરસાદી વાતાવરણના કારણે સ્થિતિ વધુ વણસી છે.
સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા અનુસાર, અહીં નિયમિત સફાઈ ન થતી હોવાને કારણે કચરો જમા થતો રહે છે. વરસાદ પડ્યા બાદ ભીના કચરામાંથી અતિશય દુર્ગંધ આવી રહી છે, જેના કારણે લોકોને ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આ કચરાના ઢગલાથી રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં યોગ્ય સફાઈ કરવામાં આવે અને કચરાના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને ગંદકી અને દુર્ગંધમાંથી મુક્તિ મળે.










