મુખ્ય બજાર વિસ્તારમાં જ વારંવાર લાઈટ જતી રહેતા વેપાર ધંધાને અસર, તાકીદે લાઈટની સમસ્યાનો નિવેડો નહિ આવે તો જન આંદોલનની ચીમકી
મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે આવેલા પરાબજાર મેઇન રોડ ઉપર છેલ્લા 20 દિવસથી દરરોજ વીજ કાપનો વિકરાળ સમસ્યા થઈ રહી છે. ઘણા સમયથી આ વિસ્તારમાં દિવસમાં અવારનવાર લાઈટ આવવા જવાની સમસ્યા તો પહેલેથી જ હતી. પરંતુ છેલ્લા 20 દિવસથી કોઈપણ સમયે લાઇટ જતી રહે છે સવાર બપોર હોય કે સાંજ રાત કોઈ પણ સમયે ગયેલી લાઈટ અંદાજે બે થી ત્રણ કલાક સિવાય પાછી આવતી નથી. છેલ્લા ઘણા સમયથી લાઈટની આ સમસ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
મુખ્ય બજાર વિસ્તારમાં વારંવાર લાઈટ જતી રહ્યા બાદ અનેક વખત ટેલિફોનિક રજૂઆત અને ફરિયાદ કરવા છતાં પણ હજુ સુધી લાઈટની સમસ્યાનો કોઈપણ ઉકેલ આવી શક્યો નથી. જ્યારે લાઈટની સમસ્યાને લગતી ફરિયાદ નોંધાવીએ છીએ તો સરખા જવાબ પણ મળતા નથી અને લાઈટ કોઈ પણ સમયે જતી રહે છે. સાંજના અને રાત્રે પણ જ્યારે લાઈટ જાય છે ત્યારે અંદાજે બે થી ત્રણ કલાક પછી લાઇટ આવે છે અને દર વખતે કમ્પ્લેન કરવા છતાં અલગ અલગ જવાબો આપવામાં આવે છે આમ આ લાઈટ ની સમસ્યાનું કોઈ નક્કર ઉકેલ આજ દિન સુધી મળ્યો નથી.
ત્રિકોણ બાગથી લઈને નગર દરવાજા સુધીની પરાબજાર રોડ પર આવેલી સ્ટ્રીટ લાઇટો પણ છેલ્લા 30 થી 35 દિવસ થયા હોવા છતાં પણ હજુ બંધ હાલતમાં જ છે.સ્ટ્રીટ લાઇટની પણ કમ્પ્લેન નોંધાવી દેવામાં આવેલ હોવા છતાં એક મહિના કરતાં વધુ સમય વિતયો હોવા છતાં હજુ પણ આ પરા બજાર મેઇન રોડ પરની લગભગ તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જેથી રાત્રિના સમયે પણ લોકોને તેમજ વાહન ચલાવતા વાહન ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ વિસ્તારમાં બેંક ,પોસ્ટ ઓફિસ, લાઇબ્રેરી, શોપિંગ કોમ્પ્લેક્સ ,મોલ, રહેણાંક તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ હોવા છતાં તમામ લોકોને લાઈટ વગર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે વધુમાં અવારનવાર લાઈટ જવાના કારણે બેંક ,પોસ્ટ ઓફિસ તેમજ લોકોના ધંધા રોજગાર પણ તેની અસર પડી રહી છે શહેરના મુખ્ય માર્ગ અને નગર દરવાજાથી એકદમ નજીક હોવા છતાં પણ પરા બજાર મેન રોડ પર લાઈટની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે .થોડા દિવસો પહેલા ટીસી પણ બદલવામાં આવ્યું હોવા છતાં લાઈટની સમસ્યામાં હજુ પણ કોઈ જ સુધારો થયો નથી .
થોડા દિવસો પહેલા જ ટી.સી બદલ્યા પછી પણ લાઈટ આવવા જવાની ઘટનાઓ રાબેતા મુજબ ચાલુ જ છે.જેથી અહીંના તમામ લોકોની એક જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી લાઈટની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ધોરણે જલ્દીથી ઉકેલ નહિ આવે તો નાછૂટકે જન આંદોલનનો માર્ગ અપનાવા માટે અહીના લોકો મજબૂર બનશે તેવું જણાવ્યું છે.
