રોજ રાત્રે ભવ્ય કાર્યક્રમોની વણઝાર, હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવનો વર્ષે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ
મોરબી : મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલો હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવ આ વર્ષે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે આયોજકો દ્વારા દર વર્ષે કંઈક નવું અને ઇનોવેટિવ કરવાનું આયોજન કરાય છે, જેથી લોકો આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય અને સારા સંદેશા સમાજ સુધી પહોંચી શકે.
આ વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ અંદાજિત 8 સ્ક્વેર ફૂટ છે. તેમજ દરરોજ રાત્રે 9 વાગ્યે ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું છે. ત્યારબાદ દરરોજ રાત્રે 10 વાગ્યે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે.
ગણેશ ઉત્સવ દરમિયાન યોજાનાર કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં આ વર્ષે વીજુડીનો શો અને જુનિયર આર્ટિસ્ટ દયાભાભીનો શો જેવા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, વિશ્વના ૩૨ દેશોમાં રાસ રમી ચૂકેલી ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીનું આયોજન પણ કરવામાં આવ્યું છે, નાના બાળકો માટે જાદુગરનો શો અને કોમિક શો જેવા કાર્યક્રમો પણ યોજાશે.
આ કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા અને મનોરંજન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. દરરોજ અંદાજિત 5 થી 6 હજાર લોકો દાદાના દર્શન કરવા અને કાર્યક્રમોને માણવા માટે ઉમટી પડે છે. આ કાર્યક્રમો મોરબીની જનતા માટે એક અનોખો લ્હાવો છે.









