આઠમની મહાઆરતીના ચઢાવાની રકમ તેમજ આરતી પાછળ થતો બિનજરૂરી દેખાડા અને ભવ્ય એન્ટ્રીનો ખર્ચ બચાવીને આ તમામ રકમ પાટીદાર સમાજની આર્થિક જરૂરિયાત ધરાવતી બહેન-દીકરીઓને અર્પણ કરાંશે
મોરબી : શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ, મોરબી ખાતે યોજાનારી આઠમની મહાઆરતીની ઉજવણીમાં આ વર્ષે એક નવતર પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. દર વર્ષે થતા ભવ્ય અને ખર્ચાળ આયોજનને બદલે આ વર્ષના યુવા યજમાન કિશનભાઈ ગામીએ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો નિર્ણય લીધો છે.
કિશનભાઈ ગામીની રજૂઆત અનુસાર, આઠમની મહાઆરતીના ચઢાવાની રકમ તેમજ આરતી પાછળ થતો બિનજરૂરી દેખાડા અને ભવ્ય એન્ટ્રીનો ખર્ચ બચાવીને, તે તમામ રકમ પાટીદાર સમાજની આર્થિક જરૂરિયાત ધરાવતી 50 બહેન-દીકરીઓને અર્પણ કરવામાં આવશે.
સૌથી નોંધનીય બાબત એ છે કે આ વર્ષે આઠમની મહાઆરતી યજમાન નહીં, પરંતુ આ સહાય પામનાર 50 દીકરીઓ અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવશે. શ્રી ઉમિયા નવરાત્રી સમિતિએ આ સદવિચારને તુરંત સ્વીકારી લીધો છે. પાટીદાર સમાજ કિશનભાઈ ગામીના આ સદકાર્ય અને શુદ્ધ સેવાભાવને બિરદાવી રહ્યો છે.
આર્થિક સહાય માટે કેટલાક માપદંડ બનાવવામાં આવ્યા છે. જેમાં સહાય ફક્ત પાટીદાર સમાજની અપરણિત બહેન-દીકરીઓ માટે મર્યાદિત છે. તેમજ એવી બહેન-દીકરીઓ કે જેમના માતા-પિતા હયાત ન હોય અથવા પિતા હયાત ન હોય અને અન્ય કોઈ આર્થિક સ્ત્રોત-સાધન ન હોય. યોગ્ય બહેન-દીકરીને સહાય મળે તે માટે સમાજના આગેવાનોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આખરી નિર્ણય લેવામાં આવશે.
પાટીદાર પરિવારના સભ્યોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે જરૂરિયાતમંદ બહેન-દીકરીઓના નામની નોંધણી કરાવે. જે માટે કેતનભાઇ વિલપરા (99789 20222 ) એમ. વી. દલસાણીયા (97122 51081)
કિશનભાઈ ગામી (99798 79896) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.











