Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા

મહોત્સવના દ્વિતીય દિવસે  સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી જગતનાં કલ્યાણની કામના કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

જગત કલ્યાણના કાર્યોમાં સહયોગ આપીએ:- આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીમાં સહપરિવાર સહભાગી બન્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહી આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન ગ્રહણ કર્યું હતુ. મુખ્યમંત્રીશ્રી તેમજ શ્રી દીપકભાઈએ આ તકે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પુજન અર્ચન, આરતી ઉતારી જગતનાં કલ્યાણની કામના કરી હતી.

મોરબીમાં આગામી ૦૯ નવેમ્બર સુધી દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગત તા.૦૩ નવેમ્બરના રોજ આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ આયોજનના દ્વિતીય દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે પૂજા, આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો અને સમગ્ર જગતના જીવમાત્રના કલ્યાણની કામના કરીને દરેકને સાચા સુખની પ્રાપ્તિ થાય તે અર્થે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. શ્રી દીપકભાઈએ મુખ્યમંત્રીશ્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-૬ અર્પણ કર્યું હતું.

આ તકે પોતાના પ્રવચનમાં આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈએ આત્મા વગરનાં શરીર, કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુખોથી મુક્તિ, શુધ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્ટ, (એઆઈ) ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી. તેમણે  વિચાર, વાણી અને વર્તન, માનવીની સાચી શક્તિ અને તેનો જગતના કલ્યાણ માટે ઉપયોગ, AI ના ઉદાહરણ સાથે જીવનના સાચા દ્રષ્ટિકોણની સમજ, અહમ્ ની ભાવના પર નિયંત્રણ, પુરુષાર્થ અને કર્તવ્ય પરાયણતા તથા સાચા સુખની પ્રાપ્તિ માટેના માર્ગનું  જ્ઞાન પીરસ્યું હતું. શ્રી દીપકભાઈએ સત્સંગમાં ઉપસ્થિત ભાવકોને જગત કલ્યાણના કાર્યોમાં સહયોગ આપવા અપીલ કરી હતી અને આવતા વર્ષે  દાદા ભગવાનની ૧૧૯ મી જન્મ જયંતીની ઉજવણી ચરોતર પ્રદેશમાં કરવામાં આવશે તેવું અંતમાં ઉમેર્યું હતું.

આ વેળાએ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને શ્રી મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, મોરબી મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, અગ્રણીશ્રી જયંતીભાઈ રાજકોટિયા, શ્રી દાદા ભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments