મોરબીમાં સસ્તા અનાજના દુકાનદારોએ લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે 1 નવેમ્બરથી હડતાલ શરૂ કરી છે. દુકાનદારો પોતાની માંગ ઉપર અડગ છે. જેથી હાલ સુધી અનાજ વિતરણ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મામલે ફેરપ્રાઇઝ એસો.ના શહેર પ્રમુખ દિનેશભાઇ ભોજાણીએ જણાવ્યું કે તેઓના એસોશીએશનની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો, ઈ-પ્રોફાઇલ તકેદારી, સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બનાવવાની મંજૂરી, સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો, સમયસર કમિશનની ચુકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સમાવેશ થાય છે.
રાજ્ય એસોશીએશન દ્વારા ગુજરાત સરકારના પૂરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની માંગણીઓનો સંતોષકારક કે લેખિત જવાબ મળ્યો નથી. આથી, ‘ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એશોશીયેશન’ અને ‘ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસીએશન’ દ્વારા સંયુક્ત રીતે આ અંગે યોગ્ય નિકાલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન’ કરવાનો નિર્ણય લેવાયો છે. હજુ વાટાઘાટો ચાલી રહી છે. ઉપરથી માંગણી સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે અનાજ વિતરણ બંધ છે.











