સમસ્યા મહાનગરપાલિકા સુધી પહોંચાડાશે તો નિરાકરણનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું- સિટી એન્જિનિયર
મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સુવિધાઓ ન મળવાના કારણે લોકો રસ્તા પર ઉતરી વિવિધ રીતે આંદોલનો રહ્યા છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીની જનતાને અપીલ કરવામાં આવી છે કે, લોકો પહેલા જે તે કામગીરી અંગે સંપૂર્ણ માહિતી મેળવીને ત્યારબાદ જ વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો કરે.
મોરબી મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા મોરબી મહાનગરપાલિકામાં વિવિધ પ્રકલ્પોને મંજૂરી આપવામાં આવી છે. જે મુજબના કામો હાલ ચાલી રહ્યા છે. પરંતુ લોકો કેટલી માહિતીની અજ્ઞાનતાના કારણે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે. એ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે પણ પ્રોજેક્ટ ચાલુ હોય તે બાબતે રસ્તા રોકો આંદોલન ન કરે. જેમ કે હાલ જડેશ્વર મંદિરથી આસ્વાદ પાનવાળા રસ્તા પર ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. તો આ ચાલી રહેલી કામગીરી બાબતે ગઈકાલે જ લોકો રસ્તા પર ઉતર્યા હતા. આ લોકોની જે માંગણીઓ હતી તે માંગણીનો સમાવેશ ટેન્ડરમાં કરવામાં આવ્યો છે. વરસાદી પાણીના નિકાલનો જે પ્રશ્ન છે તો તેનું ટેન્ડર હાલ ઓનલાઈન છે. ગટર ઉભરાવાની જે સમસ્યા હતી તેના નિરાકરણ માટે જ 30 લાખના ખર્ચે નવી લાઈન નાખવામાં આવી રહી છે.
કોઈપણ પ્રકારના આંદોલન કે રસ્તા પર ઉતરતા પહેલા તેની કામગીરીની માહિતી મેળવી લેવામાં આવે, જાણી લેવામાં આવે. મહાનગરપાલિકા પણ લોકો પાસેથી પૂરતા સાથ સહકારની અપેક્ષા રાખે છે. મહાનગરપાલિકાની ટીમ હાલ કામગીરી કરી રહી છે જેનું પરિણામ આવનારા દિવસોમાં મળશે. હિતેશ આદ્રોજાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ 22 રોડના કામ મંજૂર થઈ ગયા છે. જેમાંથી હાલ 5 કામ પ્રગતિ હેઠળ છે. અન્ય કામોમાં ટેન્ડર હેઠળ છે. હાલમાં કેસરબાગથી એલઈ કોલેજ સુધીના રસ્તાનું કામ ચાલી રહ્યું છે. ક્રિષ્ના સ્કૂલથી એસપી રોડનું કામ ચાલું છે. ચિત્રકુટ સોસાયટીના રસ્તાની કામગીરી પૂર્ણ થઈ છે, વિજય સિનેમાંથી રામ રસ સુધીનો રસ્તો અડધો પૂર્ણ થયો છે. હવે ટૂંક સમયમાં તેની કામ શરૂ થશે. નાની કેનાલ રોડને પણ આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરી રહ્યા છીએ. એસપી રોડના નાકાથી આલાપ સોસાયટી સુધીના રોડનું પણ કામ કરનાર છે. હાલ જે કામ ચાલી રહ્યા છે તે દોઢેક મહિનામાં પૂરા થઈ જશે. લોકોના જે પણ પ્રશ્ન હોય તે મહાનગરપાલિકા સુધી પહોંચાડે અમે તેના નિરાકરણનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું.








