નવા બસ સ્ટેન્ડથી મહાનગરપાલિકા સુધી વિશાળ જનમેદની સાથેની એકતા પદયાત્રાને શહેરીજનોએ ઉમંગેર આવકારી
મોરબી: સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ચેલા વહીવટી તંત્ર દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. આ એકતા પદયાત્રામાં મોરબીવાસીઓ ઉમંગભેર જોડાયા હતા. આ એકતા પદયાત્રા થકી મોરબીમાં દેશભક્તિના માહોલનું સર્જન થયું હતું.
આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર પટેલે દેશી રજવાડાઓને એક કરી ભારતને અખંડ ભારત બનાવ્યું હતું. આપણા દેશને અખંડિત અને એક રાખ્યું હતું. તેમના આ મહાન પ્રદાનને આપણે સૌ યાદ રાખી તેમનામાંથી પ્રેરણા લઈ ને ગુજરાતને આગળ વધારવામાં સહયોગ આપીએ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સર્વે ઉપસ્થિતોને સરદાર પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત એકતા પદયાત્રા અન્વયે સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવા બસ સ્ટેન્ડથી મહાનગરપાલિકા સુધી આયોજિત આ એકતા પદયાત્રા થકી મોરબીમાં ઉત્સવ અને દેશભક્તિના માહોલનું સર્જન થયું હતું. અનેક જગ્યાઓએ એકતા પદયાત્રાને નિહાળવા અને તેનું અભિવાદન કરવા લોકો રસ્તાઓ ઉપર એકત્ર થયા હતા. આ યાત્રામાં વિશાળ જનમેદની સહભાગી બની હતી, અનેક સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ શાળાઓએ ઠેર ઠેર આ યાiત્રાને ઉમંગભેર આવકારી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બાળકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોથી આ યાત્રાનો અભિવાદન કર્યું હતું. મોરબીની મુખ્ય બજારમાં વિવિધ વેપારીઓ, સંગઠનોએ આ યાત્રા પર પુષ્પ વર્ષા કરી યાત્રાનું અભિવાદન કર્યું હતું. મહાનગરપાલિકાના પરિસર ખાતે એકતા શપથ ગ્રહણ કરી આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તથા નાગરિકો, વિદ્યાર્થીઓ, સંગઠનના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમ યાદીમાં જણાવાયું છે.















