- ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, શાસક પક્ષના નેતાના પ્રતિનિધિ પુષ્પરાજસિંહ જાડેજા અને કોર્પોરેટરોએ રૂબરૂ નિરીક્ષણ કર્યું
-
- જન્મ-મરણ અને લગ્ન નોંધણીના દાખલા માટે આવતી જનતાને પડતી મુશ્કેલીઓ અંગે અધિકારીઓનો ઉધડો લેવાયો; કામગીરી ઝડપી કરવા કડક સૂચના
મોરબી:
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની સુવિધા અને તેઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે પાલિકાના સત્તાધીશો આજે શુક્રવારે સવારથી જ ‘એક્શન મોડ’માં જોવા મળ્યા હતા. શહેરના રેઈનબસેરા ખાતે કાર્યરત જનસુવિધા કેન્દ્રમાં જન્મ-મરણના દાખલા તેમજ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈને આજે પદાધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી.
આ આકસ્મિક મુલાકાતમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજાના પ્રતિનિધિ શ્રી પુષ્પરાજસિંહ જાડેજા, તેમજ કોર્પોરેટર શ્રી મહેન્દ્રભાઈ સવસાણી અને શ્રી ગૌતમભાઈ પરમાર સહિતના આગેવાનો રૂબરૂ દોડી ગયા હતા.
પદાધિકારીઓએ રેઈનબસેરા ખાતે ચાલી રહેલી વહીવટી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં હાજર અરજદારો સાથે સીધો સંવાદ કરી તેઓની મુશ્કેલીઓ સાંભળી હતી. દાખલા મેળવવામાં થતા વિલંબ અને જનતાને પડતી હાલાકી મુદ્દે સત્તાધીશોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
સ્થળ પર જ હાજર જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓનો ઉધડો લેતા પદાધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કડક સૂચના આપી હતી કે, જનસુવિધાની આ તમામ પ્રક્રિયાઓ સુચારુ અને ઝડપી બનાવવામાં આવે. અરજદારોને બિનજરૂરી ધક્કા ખાવા ન પડે અને સમયસર દાખલા મળી રહે તે માટે વહીવટી તંત્ર તાકીદે યોગ્ય વ્યવસ્થા ગોઠવે, નહિતર બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવામાં આવશે.












