મોરબી : 18 નવેમ્બરના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો અને એક અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે બેઠી હોય અને ચિંતામાં હોવાનું જણાવ્યું હતું. જેના પગલે 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ મહેશભાઈ પરમાર ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા.
સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી હતી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો હતો. મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે માતા અને ભાઈ સાથે રહે છે. વધુમાં તે એક પુરુષ સાથે બે વર્ષથી પ્રેમ સંબંધમાં હોય અને લગ્ન કરવા હોય પરંતુ પરિવારજનો ના પાડતા હોય તેઓ ઘરે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ મોરબી 181ની ટીમે મહિલાના ઘરે જઈ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી અને સમજાવ્યા હતા. 181 ટીમે મહિલાને પણ સમજાવી હતી અને જીવનમાં ક્યારેય ઘરેથી નહીં નીકળવાનો સંકલ્પ કર્યો હતો. આમ મોરબી 181ની ટીમે મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.










