મોરબી : હાલ સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા (SIR) ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ BLOને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા (SIR)ની કામગીરીમાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા બાબત ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ લેખિતમાં આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ જે SIRની કામગીરી ચાલી રહી છે. તેમાં ઘણા મતદારો પાસે ચૂંટણી કાર્ડ છે. તેઓએ મતદાન પણ કરેલ છે. પરંતુ તેઓને હાલમાં ગણતરી પત્રકના ફોર્મ મળેલ નથી. જેથી આવા મતદારો હેરાન પરેશાન છે. તો તેઓને તાત્કાલિક ગણતરી પત્રક ફોર્મ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને તેઓના નામ મતદાર યાદીમાં રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા માગણી કરાઈ છે.
બીજું કે, BLO જ્યારે ઓનલાઇન મેપિંગ કરે છે. ત્યારે ઘણા મતદારોના નામ વેરીફાઈ થતા નથી. આ માટે ચૂંટણી પંચના ખોટા અપલોડ થયેલા ડેટાના કારણે આવું થાય છે. તો આ ડેટા સુધારીને અપલોડમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માગણી કરાઈ છે. હજુ ઘણા લોકોને જ્યારે ફોર્મ જ મળ્યા નથી. ઘણાના નામ 2002ની યાદીમાંથી ગાયબ છે. તેઓ પોતાના ફોર્મ ભરી શકતા નથી. આ કામગીરી અધૂરી ગણી શકાય. તો આ કામગીરીના સમયમાં વધારો કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.








