મોરબી: તારીખ 2 જાન્યુઆરીએના રોજ મોરબી તાલુકાના મોરબી ઘટક-2 હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાસણોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પૂર્ણા સખી-સહસખી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકા પંચાયત સ્વ-ભંડોળ વર્ષ 2025-26 ની ગ્રાન્ટમાંથી તમામ તાલુકા પંચાયત સદસ્યોની સર્વસંમતિથી મોરબી તાલુકાના તમામ ગામોની આંગણવાડી કેન્દ્રો માટે વાસણોની ખરીદી કરવામાં આવી હતી. આ વાસણોનું વિતરણ માનનીય તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી જયદીપભાઈ વણપરીયા, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા અને જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ જ્યોતિબેન રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન, પૂર્ણા સખીઓ અને સહસખીઓને પૂર્ણા યોજના વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં ‘ટીએચઆર પૂર્ણા શક્તિ’ અને ‘આઇએફએ ટેબ્લેટ’ ના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ અશોકભાઈ દેસાઈએ આંગણવાડી કેન્દ્રના તમામ કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને ‘વિકસિત ભારત’ના પ્રથમ પગથિયાં તરીકે આંગણવાડીની ગુણવત્તાસભર કામગીરી માટે સાથે મળીને પ્રયાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રોને નવી વાસણ સુવિધા પૂરી પાડવા બદલ તાલુકા પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











