મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે વાવડી ચોકડીથી વાવડી ગામ સુધી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિન સહિતના 20 દબાણો દૂર કરવામાં આવ્યા છે.
મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વાવડી ચોકડીથી વાવડી ગામ સુધીના રોડ ઉપર ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં કરવામાં આવી રહેલા આ ડીમોલેશનમાં 18 મીટરના રોડને નડતરરૂપ 20 જેટલા દબાણો 11:30 વાગ્યા સુધીમાં તોડી નાખવામાં આવ્યા છે. જેમાં ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિનનો સમાવેશ થાય છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે આ રોડ આરએન્ડબી હસ્તકનો હતો. તે કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો. આ 18 મીટરનો રોડ છે. હાલ ડીમોલેશન ચાલુ છે. મહાપાલિકા દ્વારા મુખ્ય રોડ ઉપર અત્યારે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જરૂર પડયે એકવાર ડીમોલેશન થઈ ગયું હોય, તેવા રોડ ઉપર પણ બીજી વાર ડીમોલેશન હાથ ધરવામાં આવશે.
વધુમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું કે અત્યારે અંદાજે 10 કિમીના રોડના કામો ચાલુ છે. બજેટ માટે ક્યુઆર કોડથી પબ્લિક ઓપિનિયન મંગાવવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 250થી વધુ એન્ટ્રી મળી છે. રોડ, પેવર બ્લોક, પબ્લિક લાયબ્રેરી સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે રજુઆતો મળી છે.
કમિશનરે ઉમેર્યું કે ભૂગર્ભ ગટરને લગતી ફરિયાદોની સંખ્યા ઘટી છે. ચોમાસામાં 750થી 800 ફરિયાદ આવતી હતી. હવે 50થી 100 આવે છે. બેથી ત્રણ દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાના પ્રયત્નો હોય છે. વધુમાં અગાઉ 200 સફાઈ કામદારો માટે ટેન્ડર કર્યું હતું. તેઓને ફરજમાં મૂકી દેવામાં આવ્યા છે. ડ્રેનેજ માટે પણ વધારાના 30 કામદારોને મુકવામાં આવ્યા છે.










