મોરબી: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની ગંભીર અસર મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. પ્રોપેન ગેસ અને ગુજરાત ગેસના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ દિવસે ને દિવસે શટડાઉન થઈ રહ્યો છે. જેના પરિણામે અન્ય રાજ્યોમાંથી રોજગારી મેળવવા આવેલા હજારો મજૂરોની હાલત કફોળી બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાએ રાજ્ય સરકારને મજૂરોનું પલાયન રોકવા તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાએ જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગ રાજ્ય સરકારને મોટા પ્રમાણમાં GST ચૂકવીને આર્થિક યોગદાન આપે છે. ત્યારે વર્તમાન કપરી પરિસ્થિતિમાં સરકારે આ ઉદ્યોગ અને તેમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોની વહારે આવવું જોઈએ. સિરામિક એકમો બંધ થવાના કારણે મજૂરો બેરોજગાર બની રહ્યા છે અને હવે તેમના પલાયનનો ખતરો ઉભો થયો છે.
વધુમાં તેઓએ માંગ કરી છે કે, રાજ્ય સરકાર અને સિરામિક એસોસિએશન દ્વારા તાત્કાલિક ધોરણે એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવે. આ બેઠકમાં મજૂરોનું પલાયન કઈ રીતે અટકાવી શકાય અને તેમને પડતી હાલાકીનો શું ઉકેલ લાવી શકાય તે અંગે સત્વરે યોગ્ય વિચારણા કરી નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.











