મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા કામધેનુ બાયપાસ રોડ પર આવેલા વાજેપરના સર્વે નંબર ૧૪૧૫/૩ ની જગ્યામાં મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ નિર્માણ પામેલા ૬૦૮ આવાસોના અધૂરા કામો પૂર્ણ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ દલવાડી સર્કલ, કામધેનુ બાયપાસ પાસે ૬૦૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે ૨૨ માર્ચ ૨૦૨૧ના રોજ કોમ્પ્યુટર ડ્રો યોજવામાં આવ્યો હતો અને ૬૦૮ લાભાર્થીઓ નક્કી કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનું મુખ્ય બાંધકામ ૨૦૨૧માં પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ બારી-બારણાંનું ફિટિંગ, કલરકામ, ઈલેક્ટ્રિક કામ, ડ્રેનેજ કનેક્શન, પ્લમ્બિંગ, કમ્પાઉન્ડ વોલ, મેઈન ગેટ, ગાર્ડન અને સ્ટ્રીટ લાઈટ જેવી અન્ય પરચુરણ કામગીરી અધૂરી રહી ગઈ હતી.
આ અધૂરા કામો પૂર્ણ કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી નિયમોનુસાર એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં આ એજન્સી દ્વારા પ્રોજેક્ટના અધૂરા કામો પૂરા કરવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ કામ પૂર્ણ થતાં જ IHSDP યોજનાના ૬૦૮ ફાઇનલ થયેલા લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે, જેથી લોકોને તેમના સપનાનું ઘર મળશે તેમ મોરબી મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે.













