જીદ અને અભિમાન : દુઃખનું મૂળ, ત્યાગ અને કર્તવ્ય : સુખનો સાચો માર્ગ
માનવજીવનના અનુભવોને ઊંડાણથી જોવામાં આવે તો એક અત્યંત ગહન સત્ય સામે આવે છે. મનુષ્યને સૌથી વધુ દુઃખી બનાવતી બે બાબતો છે જીદ અને અભિમાન, જ્યારે જીવનને સાચી શાંતિ અને આનંદ આપતી બે શક્તિઓ છે જતું કરવું (ત્યાગ) અને જાતે કરવું (કર્તવ્યભાવ).
માનવજાતિના હજારો વર્ષોના આધ્યાત્મિક અને તત્ત્વચિંતનના અનુભવમાં આ સત્ય વારંવાર પ્રગટ થયું છે કે જીવનના મોટા ભાગના સંઘર્ષો બહારની પરિસ્થિતિઓથી નથી જન્મતા, પરંતુ મનના અહંકાર અને જીદમાંથી જન્મે છે.
જ્યારે માણસ જીદમાં આવી જાય છે ત્યારે તેને સત્ય દેખાતું નથી; તેને પોતાની વાત જ સાચી લાગે છે. અને જ્યારે મનમાં અભિમાન ઊગી આવે છે ત્યારે માણસને પોતાની ભૂલ સવીકારવાની વિનમ્રતા રહેતી નથી. આ બંને ગુણ મળીને મનુષ્યના અંતરમાં અસંતોષ, અશાંતિ અને વિખવાદનું બીજ વાવી દે છે.
ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે મનુષ્યના આ અહંકાર વિશે સ્પષ્ટ રીતે સમજાવ્યું છે —
“अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम्।
त्यक्त्वा निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते॥”
(ભગવદ્ ગીતા 18.53) અર્થાત્, જે મનુષ્ય અહંકાર, દર્પ અને સ્વાર્થનો ત્યાગ કરે છે, તે જ અંતરમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે અને જીવનની ઊંચી અવસ્થાને પ્રાપ્ત કરે છે.સાચી વાત એ છે કે જીદ માણસને ક્ષણિક જીત અપાવી શકે છે, પરંતુ તે લાંબા ગાળે સંબંધો અને મનની શાંતિ ગુમાવી દે છે. ઘણીવાર આપણે “હું જ સાચો છું” એ સાબિત કરવા માટે લડતા રહીએ છીએ, પરંતુ આ લડાઈમાં આપણે પોતાના જ લોકો ગુમાવી બેસીએ છીએ.ભારતીય ઋષિમુનિઓએ આ માટે જ ત્યાગને જીવનનો મહાન ગુણ ગણાવ્યો છે. ઉપનિષદોમાં એક અદભૂત વાક્ય આવે છે —
“त्यागेनैके अमृतत्वमानशुः”(કઠોપનિષદ) અર્થાત્, ત્યાગ દ્વારા જ મનુષ્ય અમૃતત્વ શાશ્વત આનંદ અને શાંતિ પ્રાપ્ત કરે છે.જ્યારે માણસ જીવનમાં “જતું કરવું” શીખી જાય છે ત્યારે તે અંદરથી વિશાળ બની જાય છે. ત્યાગનો અર્થ હાર માનવો નથી; ત્યાગનો અર્થ છે. સંબંધોને અહંકાર કરતાં વધુ મૂલ્ય આપવું.
વેદોમાં માનવજીવન માટે એક અત્યંત સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. “संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्।”(ઋગ્વેદ) અર્થાત્, એકસાથે ચાલો, એકસાથે વિચારો અને એકતાથી જીવન જીવો. આ શ્લોક આપણને સમજાવે છે કે જીવનનો સાચો આનંદ “હું”માં નથી પરંતુ “અમે”માં છે. જીવનમાં સુખી થવાની બીજી એક મહાન ચાવી છે જાતે કરવું, એટલે કે પોતાના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક સ્વીકારવું. જે માણસ પોતાના કર્તવ્યથી ભાગે છે તે હંમેશા અસંતોષમાં જીવે છે, પરંતુ જે માણસ પોતાની જવાબદારીને સ્વીકારે છે તે અંતરમાં સંતોષનો અનુભવ કરે છે.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે- “कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।”
(ભગવદ્ ગીતા 2.47) અર્થાત્, મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવા પર છે; પરિણામ પર નથી. આ વિચાર માણસને અદભૂત મુક્તિ આપે છે. જ્યારે આપણે પરિણામની ચિંતા છોડીને કર્તવ્યભાવથી કાર્ય કરીએ છીએ ત્યારે જીવનમાં શાંતિ અને આત્મસંતોષનું પ્રકાશ ફેલાય છે. વાસ્તવમાં, જીવન એક યાત્રા છે જેમાં મનુષ્ય સતત શીખતો રહે છે. શરૂઆતમાં માણસ જીતવા માટે જીદ રાખે છે, પરંતુ પરિપક્વતા આવ્યા પછી સમજાય છે કે સાચી જીત તો સંબંધોને સાચવવામાં અને મનની શાંતિ જાળવવામાં છે.
જ્યાં અહંકાર છે ત્યાં અંતર છે, જ્યાં જીદ છે ત્યાં વિખવાદ છે; પરંતુ જ્યાં ત્યાગ છે ત્યાં પ્રેમ છે અને જ્યાં કર્તવ્ય છે ત્યાં આત્મસંતોષ છે. માનવજીવનની સૌથી મોટી સિદ્ધિ બહારની સફળતા નથી, પરંતુ અંદરની વિનમ્રતા અને વિશાળતા છે. જીવનમાં ક્યારેક જીદ છોડી દેવી પણ એક મહાન જીત હોય છે. ક્યારેક મૌન રાખવું પણ એક મહાન જવાબ હોય છે.અને ક્યારેક જતું કરવું પણ સંબંધોને બચાવવાનો સૌથી સુંદર માર્ગ હોય છે.અહંકાર માણસને એકલો બનાવે છે, જ્યારે વિનમ્રતા માણસને મહાન બનાવે છે.
જીવનને સુંદર બનાવવાનો એક સરળ સૂત્ર છે :
ઓછું “હું”, વધુ “અમે”; ઓછું અભિમાન, વધુ પ્રેમ; ઓછું દંભ, વધુ કર્તવ્ય… જે દિવસે માણસ આ ચાર શબ્દો સમજી જાય ત્યાગ, વિનમ્રતા, કર્તવ્ય અને પ્રેમ તે દિવસે જીવનમાં સુખ બહાર શોધવું પડતું નથી, તે તો પોતાના અંતરમાં જ ઝરણાની જેમ વહેવા લાગે છે.
આથી જીવનનો સાર ખૂબ સરળ છે જીદ છોડો, અહંકાર છોડો, અને ત્યાગ તથા કર્તવ્યના માર્ગે ચાલો. કારણ કે સુખ બહારની સંપત્તિમાં નથી, તે મનની વિનમ્રતા અને હૃદયની વિશાળતામાં વસે છે. “જીતવા માટે જીદ જરૂરી નથી; જીવનમાં સુખી થવા માટે વિનમ્રતા અને ત્યાગ જરૂરી છે.”
✍️ લેખક : ડૉ. દેવેન રબારી
(સ્થાપક – યંગ ઇન્ડિયા ગ્રુપ, મોરબી)











