મોરબી: મોરબી શહેરમાં આજે શ્વાનોએ જાણે આતંક મચાવ્યો હોય તેમ શનાળા રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં અંદાજે 20થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંદાજે 20 થી વધુ લોકો આ શ્વાનોના હુમલાનો ભોગ બન્યા છે, જેમાં મહિલાઓ, પુરુષો અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. શહેરના શનાળા રોડ, ગ્રીન ચોક, દરબારગઢ રોડ અને નાની બજાર જેવા મુખ્ય વિસ્તારોમાં આ બનાવ બન્યા છે. રસ્તે ચાલતા રાહદારીઓ પર અચાનક શ્વાનો ત્રાટકતા હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે
એક બળદ ઉપર પણ શ્વાનનો હુમલો
શ્વાનના હુમલાનો ભોગ બનનાર પીડિત દેવપાલદાસે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, આજે એક જ દિવસમાં 20 જેટલા લોકો શ્વાન કરડ્યાની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા છે. હિંસક બનેલા આ શ્વાનો હવે માત્ર માણસોને જ નહીં, પરંતુ અબોલ જાનવરોને પણ નિશાન બનાવી રહ્યા છે. રસ્તા પર જતા એક બળદને પણ શ્વાનોએ બચકા ભરીને ગંભીર ઈજા પહોંચાડી હતી.
મહાનગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની માંગ
શ્વાનોના વધતા જતા આતંકને પગલે લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકો અને વડીલોની સુરક્ષા મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતા પીડિતો અને સ્થાનિકોએ મહાનગરપાલિકા તંત્ર પાસે માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે આ રખડતા અને હિંસક શ્વાનોને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે, જેથી નિર્દોષ લોકો તેનો શિકાર બનતા બચી શકે.











