મોરબીમાં લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને લોકો પ્રકૃતિ તરફ વળે તેવા હેતુ સાથે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે રવિવારે વિવિધ નેચરલ વસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડની બહાર, RDC બેંકના દરવાજા પાસે અને ન્યુ હાઉસિંગ બોર્ડની સામે આવતીકાલે તારીખ 05-04-2026 ને રવિવારના રોજ સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી આ વેચાણ કેન્દ્ર કાર્યરત રહેશે.
આ કેન્દ્ર પર હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગળા, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આમળાની મીઠી કેન્ડી અને લેમનટી જેવી આરોગ્યપ્રદ વસ્તુઓ મળશે. આ ઉપરાંત રાહત દરે 10 જાતના ગુલાબ અને અન્ય ફૂલછોડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રસોડામાં ઉપયોગી એવા લાકડાના પાટલા, વેલણ અને જેરણી જેવી વસ્તુઓ સાથે શુદ્ધ ઓર્ગેનિક શાકભાજીનું પણ વેચાણ કરવામાં આવશે. હરડે પ્રચાર કેન્દ્રના સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા લોકોને આ કેન્દ્રનો લાભ લેવા અને પર્યાવરણની જાળવણી માટે ઘરેથી કાપડની થેલી સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.










