ટંકારાના કલ્યાણપર ગામ પાસે ધ્રોલ તરફ જવાના માર્ગ પર આજે સાંજના સમયે ટ્રેક્ટર અને ઓટો રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષામાં સવાર સાત મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ટંકારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક સારવાર બાદ તમામને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં ગફુરભાઈ સિદ્દીકભાઈ જામ (63), હસીનાબેન ગફુરભાઈ જામ (50), નજમાબેન જામ (12), ફિઝાબેન અનવરભાઈ ભટ્ટી (12), ગુલશનબેન અનવરભાઈ ભટ્ટી (43), રેશમાબેન ગફુરભાઈ જામ (18) અને જન્નતબેન જુસબભાઈ જામ (38) ઈજાગ્રસ્ત થયા છે.










