વિજય મુહૂર્તમાં લતીપર ચોકડીથી રેલી યોજી ઉમેદવારી નોંધાવાઈ: ધારાસભ્ય દુલભજી દેથરીયા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ટંકારા: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ટંકારા નગરપાલિકાના વોર્ડ નંબર 1, ક્રમ નંબર 4 માંથી જાણીતા પત્રકાર અને સામાજિક કાર્યકર જયેશ ભટાસણાને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આજે બપોરે વિજય મુહૂર્તમાં ટંકારા નગરપાલિકા ખાતે લતીપર ચોકડીથી મોટી સંખ્યામાં રેલી યોજીને ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દુલભજી દેથરીયા, સંગઠનના પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, મહેશભાઈ લિખિયા, જયશ્રીબેન સિણોજીયા, સોનલબેન બારૈયા, ભાવેશ કાનાણી, મયુર બાવરવા, ફિરોઝ અપને, જાવિદ માડકીયા સહિત સંગઠનના અનેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શહેરના મોટી સંખ્યામાં નગરજનો સાથે તમામ વોર્ડના 24 ઉમેદવારો તથા ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જયેશ ભટાસણાએ ઉમેદવારી નોંધાવતી વખતે જણાવ્યું હતું કે, “હું વર્ષોથી પત્રકાર તરીકે નિષ્પક્ષ રહીને પ્રજાજનોની વેદનાઓ અને સમસ્યાઓને વાચા આપતો આવ્યો છું. આજે ભારતીય જનતા પાર્ટીએ મને આ સન્માન આપ્યું છે. હું પક્ષ-વિપક્ષ ભૂલીને તમામ વંચિત, શોષિત અને નાના-ગરીબ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે મેદાનમાં આવ્યો છું. મારે આયોજન કરીને કામ કરવાનું છે, આંદોલન નહીં. હું 2007 થી આંદોલન કરતો આવ્યો છું, હવે આયોજન કરીને કામ કરીને બતાવીશ કે ખરો સેવક કેવો હોય છે.”
ધારાસભ્યએ પણ અહેવાલોના પગલે ઘટતું કરવા ખૂબ કવાયત કરી છે, ત્યારે હવે પોતે પણ પ્રજાના પ્રશ્નોને આયોજનપૂર્વક ઉકેલવા માટે પ્રતિબદ્ધ હોવાનું જયેશ ભટાસણાએ જણાવ્યું હતું. તેમણે ટંકારાવાસીઓને અપીલ કરી હતી કે પક્ષ-વિપક્ષ ભૂલીને એક સાચા નોકર તરીકે ભાજપના તમામ વિસ્તારના ઉમેદવારોને વિશ્વાસ મત આપી સેવા કરવાની તક આપે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જયેશ ભટાસણા દ્વારા અખબારી માધ્યમથી સરકાર સુધી અનેક પ્રશ્નો પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં એમ્બ્યુલન્સ અને આરોગ્ય રથની સુવિધા, બસ સ્ટેન્ડમાં બસની અનિયમિતતા, જંગલ જેવા ખરાબ રસ્તાઓનું નવીનીકરણ, સૌની યોજના અંતર્ગત પાણીની સમસ્યા, એસબીઆઈ બેંકમાં કેશ ડિપોઝિટ મશીનની સુવિધા, ફાયર બ્રિગેડ માટે જગ્યા અને સાધનોની ફાળવણી સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.












