જેતપર રોડ પરના કારખાનામાં બની હૃદયદ્રાવક ઘટના : તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ
મોરબી : મોરબી શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે માત્ર મુશ્કેલી નહીં પરંતુ જીવલેણ આપત્તિ બની ગયો છે. મોરબી-જેતપર રોડ ઉપર આવેલા ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં મૂળ મધ્યપ્રદેશ (ઈન્દોર બાજુના) અને અહીં મજૂરી કામે આવેલા પરિવારના એક 8 વર્ષીય બાળકને રખડતા શ્વાને ગંભીર રીતે ઇજા પહોંચાડતા માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે.
રાત્રિના સમયે શ્વાને કર્યો જીવલેણ હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, કારખાનામાં કામ કરતા કૃપાલભાઈ માલવિયાનો 8 વર્ષીય પુત્ર કૃણાલ રાત્રે 12 વાગ્યાની આસપાસ બહાર સૂતો હતો. ત્યારબાદ રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં તે પોતાની માતા પાસે રૂમમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં શ્વાનોએ તેના પર હુમલો કરી દીધો હતો. શ્વાનોએ ગંભીર રીતે બચકા ભરતા કૃણાલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
દરરોજ 10થી 20 લોકો ઉપર શ્વાનનો હુમલો
નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસથી જીઆઇડીસી વિસ્તાર અને ચિત્રકુટ સોસાયટી આસપાસ દરરોજ 10થી 20 લોકોને શ્વાનો બચકા ભરી લ્યે છે. આવી ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હોવાનું લોકો જણાવી રહ્યા છે









