મોરબી સિટી એ ડિવિઝન વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા હિન્દુ સમાજની દીકરીઓને લલચાવી અને ફોસલાવીને ભગાડી જવાના 2 થી 3 કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી નગરના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, પોલીસ પ્રશાસનની મદદથી સઘન પ્રયાસો બાદ એક દીકરીને પરત લાવવામાં સફળતા મળી છે. આ દીકરીને સમજાવીને હાલ નારી સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી છે.
ઘરમાં માતા-પિતા કે કોઈ પીઢ વડીલ નથી, તેવા ઘરોને ટાર્ગેટ કરે છે
કમલેશભાઈ બોરીચાએ વધુમાં જણાવ્યું હતું કે અલગ-અલગ સમાજમાંથી અમુક દીકરીઓને વિધર્મીઓ દ્વારા લઈ જવામાં આવી હોવાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેઓએ સમગ્ર સમાજને જાગૃત થવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે જે પરિવારો સમાજથી થોડા દૂર છે, અથવા જે ઘરમાં માતા-પિતા કે કોઈ પીઢ વડીલ નથી, તેવા ઘરોને આ લુખ્ખા તત્વો વધુ ટાર્ગેટ કરે છે. સમાજના અન્ય લોકોએ આવા પરિવારોને પોતાની નજીક લેવા જોઈએ અને તેમની સાથે ઊભા રહેવું જોઈએ.
પોલીસ ફરિયાદ કરવા અનુરોધ, સંગઠન હંમેશા સાથે રહેશે
વિશ્વ હિન્દુ પરિષદના આગેવાને જણાવ્યું કે જે પરિવારો આ ઘટનાઓનો ભોગ બન્યા છે પરંતુ હજુ સુધી ફરિયાદ નથી નોંધાવી, તેઓને આગળ આવીને નિર્ભયપણે પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. કમલેશભાઈએ ખાતરી આપી છે કે જ્યાં પણ જરૂર પડશે, ત્યાં વીએચપી સંગઠન પીડિત પરિવારો અને સમાજની સાથે ખભેખભો મિલાવીને ઊભું રહેશે. આવા તત્વોને ડામવાનું કામ માત્ર કોઈ એક વ્યક્તિ કે સંગઠનનું નથી, પરંતુ સમગ્ર સમાજે એકજૂથ થઈને આગળ આવવું પડશે. પોલીસ પ્રશાસન દ્વારા પણ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.











