મોરબી: ‘જળ એ જ જીવન’ ના મંત્રને સાર્થક કરતા મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન અને વિતરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-2026’ દરમિયાન મોરબીના લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક અને સુઆયોજિત પાણી વિતરણ વ્યવસ્થા માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યભરમાં અગ્રેસર વિતરણ માળખું
લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના સુદ્રઢ માળખા માટે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહીને અન્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના દરેક ઘર સુધી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે કરવામાં આવેલું સુઆયોજન અને લોકભાગીદારીની રાષ્ટ્રીય સ્તરે સરાહના કરવામાં આવી છે. જળ સંચયની સાથે સાથે જળ વિતરણમાં થતો બગાડ અટકાવવા અને ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થાપન કરવાના અભિગમે આ ગામને દેશના શ્રેષ્ઠ ગામોની યાદીમાં સ્થાન અપાવ્યું છે.
ત્રણ વિભાગોના સુચારુ સંકલનથી મળી સિદ્ધિ
સબંધિત વિભાગો વચ્ચેના આંતરિક સંકલન વિશે મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાને મળેલું આ રાષ્ટ્રીય બહુમાન રાજ્ય સરકારના ત્રણ મહત્વના વિભાગોના પરસ્પર સંકલનનું ઉત્કૃષ્ટ પરિણામ છે.
મોરબી પાણી પુરવઠા વિભાગ, વાસમો (WASMO) અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) એમ ત્રણેય વિભાગોએ સંયુક્ત રીતે કામગીરી કરી છે. જેમાં વાસમો (WASMO)એ લોકજાગૃતિ અને ગામનું આંતરિક માળખું ઊભું કર્યું. GWIL દ્વારા મુખ્ય બલ્ક પાઇપલાઇન નેટવર્કની વ્યવસ્થા પૂરી પડાઈ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર પ્રોજેક્ટમાં જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પડાયું. આ ત્રિવેણી સંગમના કારણે જ છેવાડાના માનવી સુધી નળ વાટે જળ પહોંચાડવાનું લક્ષ્ય સિદ્ધ થઈ શક્યું છે અને લક્ષ્મીવાસ ગામને આ ગૌરવ મળ્યું છે.
સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ સફળતા
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. લક્ષ્મીવાસ ગામની આ સફળતા માત્ર મોરબી જિલ્લા માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે. આ સન્માન સાબિત કરે છે કે જો વહીવટી તંત્રનું સુચારુ આયોજન અને ગ્રામજનોનો સાથ-સહકાર હોય તો ગ્રામ્ય સ્તરે પણ વૈશ્વિક કક્ષાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા તૈયાર કરી શકાય છે.











