ગંગા સ્વરૂપા, નિરાધાર વૃદ્ધ અને ઈન્દિરા ગાંધી આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ કરાવવાનું રહેશે ડિજિટલ સત્યાપન
મોબાઈલ એપ દ્વારા ‘ફેસ ઓથેન્ટિકેશન’ થી જાતે અથવા મામલતદાર કચેરી (શહેર) ખાતે થઈ શકશે ખરાઈ; મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડ અને મોબાઈલ લાવવો અનિવાર્ય
સરકારશ્રીની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય), નિરાધાર વૃદ્ધ સહાય યોજના તેમજ ઈન્દિરા ગાંધી આર્થિક સહાય યોજના અંતર્ગત પેન્શન મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. મામલતદાર કચેરી મોરબી શહેર દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, તમામ સંબંધિત લાભાર્થીઓએ આગામી તારીખ સુધીમાં આ ઓનલાઈન વેરિફિકેશન પ્રક્રિયા અચૂક પૂર્ણ કરવાની રહેશે.
નિયમ અનુસાર દર વર્ષે પેન્શન ધારકોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. ચાલુ વર્ષે સરકારશ્રીની સૂચના મુજબ આ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ‘Beneficiary Satyapan Application’ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication – ચહેરો વેરિફાય કરીને) પદ્ધતિથી કરવાની રહેશે. લાભાર્થીઓ પોતાની જાતે જ ગૂગલ પ્લે-સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઘરે બેઠા હયાતીની ખરાઈ કરી શકશે.
જે લાભાર્થીઓ કચેરી ખાતે રૂબરૂ આવીને ખરાઈ કરાવવા ઈચ્છતા હોય, તેમણે એન.સી.સી. કમ્પાઉન્ડ, વેજીટેબલ રોડ ખાતે આવેલી ‘મામલતદાર કચેરી-મોરબી શહેર’ ની સહાય શાખાનો સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ ઓળખ માટે લાભાર્થીઓએ પોતાનું અસલ આધારકાર્ડ તેમજ ઓટીપી (OTP) વેરિફિકેશન મેળવવા માટે પોતાનો ચાલુ મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે.
જે લાભાર્થીઓ હયાતીની ખરાઈ નહીં કરાવે, તેમનું પેન્શન નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી, મોરબી વહીવટી તંત્ર દ્વારા શહેર વિસ્તારના તમામ સહાય મેળવતા નાગરિકોને સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરવા મામલતદારશ્રી પી.જી. ગોરવિયાળાની યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.










