વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મોરબી મહાનગર પાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું જ સંરક્ષણ કરતા નથી, પરંતુ સમગ્ર માનવજાતને જીવનદાન આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. પર્યાવરણનું સંતુલન જાળવવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9ના કોર્પોરેટરો નવનિતભાઈ ભુદરભાઈ કુંડારિયા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, ભગવતીબેન મુકેશભાઈ કુંડારિયા તથા નૂતનબેન હરસુખભાઈ વિડજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો અને નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળા ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.











