મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે શ્રમદાનમાં સહભાગી બનતા રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા*
મંત્રીશ્રીએ નવલખી રોડ વિસ્તારમાં જાતે શ્રમદાન કરી નાગરિકોને પ્રેરણા પૂરી પાડી; સ્વચ્છાગ્રહી બનવા અનુરોધ કર્યો
મોરબીના પદાધિકારીશ્રીઓ / અધિકારીશ્રીઓ અને શહેરીજનો ઉત્સાહભેર શ્રમદાનમાં જોડાયા
જિલ્લામાં ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત મોરબી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉમદા આશય સાથે એક મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના નવલખી રોડ પર આવેલા નવલખી ફાટકથી લઈને પરશુરામ બ્રિજ સુધીના વિસ્તારમાં શ્રમદાન કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ મોરબીના પ્રત્યેક નાગરિકને ‘સ્વચ્છાગ્રહી’ બનીને પોતાના વિસ્તારને સાફ-સુથરો રાખવા અને આ મહા-અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવા જાહેર અનુરોધ કર્યો હતો. લોકોને સૌથી મોટું દુષણ-પ્લાસ્ટિકનું પ્રદૂષણ, મારો કચરો-મારી જવાબદારી, સ્વચ્છ શહેર-સુંદર શહેર અને પ્લાસ્ટિક છોડો પર્યાવરણ-બચાવો સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા.
આ શ્રમદાનમાં મંત્રીશ્રીની સાથે મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકાના કમિશનર શ્રી સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, નાયબ કમિશનર શ્રીસંજયસોની તેમજ સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારી શ્રીઓ અને વિશાળ સંખ્યામાં મોરબીના શહેરીજનો સહભાગી બન્યા હતા.












